શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસની માસિક શિવરાત્રી પર ભાવિકો શિવભક્તિમાં લીન બન્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ

પવિત્ર શ્રાવણ માસ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારી રહ્યા છે. સોમનાથમાં માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ બની છે તેમાં પણ શ્રાવણ માસની માસિક શિવરાત્રીમાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા.

સોમનાથ ખાતે અર્વાચીન પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની માસિક શિવરાત્રીની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી એટલે કે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ મંદિરમાં રાત્રિના 10:00 કલાકે પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, શારદા પીઠના શંકરાચાર્યના શિષ્ય સ્વામી નિર્વિકલ્પ સ્વરૂપ બ્રહ્મચારી મહારાજ, ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપભાઈ ચાવડા સહિતના મહાનુભાવો તેમજ ભાવિકો જોડાયા હતા. પૂજન ના અંતે મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. 

પવિત્ર શ્રાવણ માસની શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારે શ્રાવણ માસની માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. “બમબમ ભોલે, જય સોમનાથ”ના નાદ સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

રાત્રિના મહાઆરતી સમયે મંદિર સભા મંડપમાં તેમજ મંદિરના પટાંગણમાં આરતી દરમિયાન શ્રદ્ધાળુઓ શિવ તત્વમાં લીન થયા હતા. ત્યારે શ્રદ્ધાળુઓની સુવિધામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્લોકરૂમ, શુ-હાઉસ, સિનિયર સિટીઝન માટે ગોલ્ફકાર્ટ સહિતની સુવિધાઓની સમય અવધી રાત્રિના 1 વાગ્યા સુધી વધારવામાં આવે છે. જેથી શ્રદ્ધાળુઓ માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવની મહા આરતીના અને અલભ્ય સ્વરૂપના દર્શન નિશ્ચિંત પણે કરી શકે છે.

Related posts

Leave a Comment